ગુજરાતના રાજા વગરના રાજમહેલો ગુજરાતમાં આવેલા કિલ્લાઓ અને મહેલો તેના સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ તેમજ યુરોપિયન સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં મહેલો ઐતિહાસિક સાંસ્કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્યને ઉજાગર કરે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર અતુલ્ય કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી. ગુજરાત માટે તો એવું પણ કહેવાય છે કે તે હંમેશાથી સમૃદ્ધ હતું. અહીંની જાહોજલાલીના કારણે જ બહારથી આવતાં લોકો ગુજરાતથી આકર્ષાયા વગર નહોતા રહી શકતાં. કચ્છ રણોત્સવનો વિધિવત પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે તેની મુલાકાતે સેંકડો લોકો આવે છે અને કચ્છનું આર્ટ અને કલ્ચર માણે છે. કચ્છમાં કેટલાક રાજમહેલો પણ આવેલા છે જેની એકવાર મુલાકાત તો અવશ્ય લેવી જ પડે. અદભુત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. રાજાઓએ આ મહેલો પાછળ દીલ ખોલીને ખર્ચ કરતા હતા. એટલું જ નહીં આ માટેનો સરંજામ અને કારીગરો બહારથી પણ બોલાવામાં આવતા હતા. આઝાદી બાદ જો કે આ મહેલોની ચમક થોડી ઝાંખી પડી છે. અમુક મહેલો સરકાર હસ્તક આવી ગયા છે તો અમુક જગ્યાએ રાજાઓના વંશજો વસી રહ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ મહેલો મ્યુઝિયમમાં પણ ફેરવાયા છે. તો કેટલીક જગ્યાએ મહેલો હેરિટેઝ હોટલોમાં ફેરવાયા છે.
ભૂજના પ્રાગ મહેલને પ્રથમ નજરે જોતાં તે ભારતના પશ્ચિમ ભાગનું ન લાગતા, ફ્રાંસનો હોય તેવો વધુ લાગે છે. આ મહેલ રાજા પ્રાગમલજીએ ઇ.સ.1860માં તૈયાર કરાવ્યો હતો. તેની ડીઝાઇન કર્નલ હેન્રી સેઇટ વિલ્કિન્સે ઇટાલીની ગોથિક શૈલીમાં તૈયાર કરી હતી. મહેલમાં બહુ થોડા તત્વો ભારતીય લાગે છે, તેમ છતાં શોધશો તો તમને ભારતીયતા જરૂર નજરે ચડશે. મહેલ પર 45 મીટર ઊંચા ઘંટ સુધી જવા માટેની સીડીઓની રચના અદભુત છે. ભૂકંપમાં આ મહેલને ખૂબ નુકસાન થયું હતું. રીનોવેશન બાદ હાલ મહેલના અમુક ભાગને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો છે. પ્રાગ મહેલની બાજુમાં જ આયના મહેલ આવેલો છે. આ આયના મહેલ 18મી સદીના મધ્ય ભાગમાં લખપતજીના દબદબાભર્યા શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. ભૂકંપમાં આ મહેલને પણ નુકસાન થયું હતું.
નગારાખાના દ્વારા દરબાર ગઢમાં પ્રવેશ કરીએં તો જમણી બાજુ પ્રથમ જૂનો રાજગઢ આવે. તેના સામે નવો પ્રાગ મહેલ અને મોલાત દેખાય છે. તે રાવ પ્રાગમલજીએ (૧૮૬૦-૧૮૭પ) બંધાવ્યો છે. રાવ પ્રાગમલજીને બાંધકામનો ખૂબ જ શોખ હતો. તેમના પંદર વર્ષના શાસનમાં તેમણે તે શોખને પૂરો કર્યો હતો. છેક ઇટાલીથી કારીગરો બોલાવીને, તે સમયે વીસ લાખ રૂપિયા ખર્ચીને, પ્રાગમહેલનું સર્જન કર્યુ હતું.
આવો આધુનિક મહેલ ભારતમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. તેના સામે ઉભો તો પ્રથમ ઉંચું ટાવર દેખાય છે. આવું ભવ્ય ટાવર સમગ્ર ભારતમાં જોવા નથી મળતું. તેના મીઠા ટકોરા ચોવીસે કલાક આખા ભુજમાં સંભળાય છે. (હાલે બંધ છે) તેની નીચેના દ્વારમાંથી થઇ પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી થઇ તેના દરબાર હોલમાં પ્રવેશો એટલે સામે વિશાળ પગથીયાં આવે તેની પરથી તઇ તેના દરબાર હોલમાં પ્રવેશો છો. વિશાળ દરબાર હોલ તરત જ આગંતુકનું મન હરી લે છે. તેમાં સુંદર ફોટાઓ, પ્રાણીઓના સાચવેલા શરીરો, તેનું કોતરકામ, ગેલેરી, જાણે જોયા જ કરીએં. આ હોલ છોડવાનું મન જ ન થાય.
ત્યાંથી આગળ વધીએં તો ટાવર બાજુ જવાય. ત્યાં ટાવરની ઘડિયાળની મશિનરી જોવા મળે. ટાવરના છેક ઉપલા માળે પહોંચી ઘુમ્મટ નીચે ઉભી જોઇએં તો સમગ્ર ભુજ અને આસપાસનો વિસ્તાર જોવા મળે. સામે હિલોળા લેતું તળાવ, ભુજીયો, એરપોર્ટ, સુરલભીટ્ટ વગેરેના દર્શન થાય છે અને મન ગદગદીત તઇ જાય છે. તેનું બાંધકામ તો જાણે નીરખ્યા જ કરીએં છીએં. તેની આસપાસ જુદા જુદા ખંડો છે જેમાં હવે સરકારી ઓફિસો તથા બેંક બેસે છે.
દરબાર ગઢમાં આ ઉપરાંત સામે રાણીવાસ છે. ત્યાંના પણ આસપાસવાળા ઓરડાઓ જોવા જેવા છે. તે પણ અનેક રાજકીય બનાવોની સાક્ષી પૂરે છે. દરબાર ગઢ આસપાસ ગઢ છે. તેના વિવિધ ખૂણે દરવાજાઓ છે. પાળેશ્વર તરફ જે દરવાજો છે તેને ‘‘ખૂની દરવાજો‘‘ કહે છે. રાજવીના કુટુંબના સભ્યનું મૃત્યુ થાય તો તેનું શબ ત્યાંથી બહાર નીકળતું. (નગારાખાનામાંથી બહાર નીકળી ન કશે તે રિવાજને કારણે) સોનીવાડ પસે જે દરવાજો છે ત્યાંથી નવરાત્રી સમયે આશાપુરા માટેની ઝાલર નીકળતી. પ્રાગમહેલ પાછળ મલ્લો માટેનું મેદાન તથા સ્નાનાગાર આવેલ છે. તેના મનવિલાસ ચોકમાં દરબાર ભરાતો તથા દિવાળીમાં દારુખાનું ફોડવામાં આવતું.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર