પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મતે યુવરાજ સિંહને 16 નહી પણ 160 કરોડ રૂપિયામાં ખરીદવો જોઈએ. એક ન્યૂઝ ચેનલના શોમાં અખ્તરને આઈપીએલમાં યુવરાજ સિંહની હરાજી વિશે સવાલ પુછ્યો હતો. જેમાં અખ્તરે કહ્યું હતું કે, ‘‘યુવી શાનદાર પ્લેયર છે અને તેનાથી પાકિસ્તાનની ટીમને પણ બીક લાગે છે. તે જલ્દી ટીમમા વાપસી કરશે અને રન બનાવશે. ’’ યુવરાજ પિતા યોગરાજે આરોપ મુક્યો હતો કે ધોની નથી ઇચ્છતો કે યુવરાજ ભારતની ટીમમાં સામેલ થાય.
આ મુદ્દે અખ્તરે કહ્યું હતું કે, ‘ધોની અને યુવરાજ બન્ને સ્ટાર પ્લેયર છે અને બન્નેએ ભારતીય ટીમ માટે ઘણું કર્યું છે. જો બન્ને વચ્ચે કોઈ મતભેદ હોય તો રુમમાં બેસી વાતચીત કરવી જોઈએ. મતભેદ ન હોય તો પણ સાથે બેસીને વાત કરવી જોઈએ.’
શોએબ અખ્તરના મતે 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડકપની મેચમાં ભારતના કેપ્ટન ધોનીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવી જોઈએ. ભારત પાસે કોહલી, રહાણે અને ધોની જેવા ક્રિકેટરો છે, જે પડકારને પહોંચી વળવા સક્ષમ છે. ભારતીય બોલરોએ બાઉન્સર ફેંકવા જોઈએ.
એબી ડી વિલિયર્સને કેવી રીતે આઉટ કરવા જોઈએ તે વિશે અખ્તરે કહ્યું હતું કે, તેને શરૂઆતમાં જ આઉટ કરી દેવો પડશે. જો તે એક વખત સેટ થઈ ગયો તો મુશ્કેલ બનશે. ડી વિલિયર્સને શરૂઆતથી જ બાઉન્સર ફેંકવા જોઈએ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર