આ વાત સો ટકા સાચી છે કે ઓફિસમાં કામ કરનારાઓને ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ જાય છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ બેદરકારી અને ખોટી આદતો હોય છે. જેમાં શરીરના અંગોમાં દર્દથી લઈને તણાવ સુધી અને તણાવથી લઇને હૃદયની બિમારી પણ ઓફિસમાં કામ કરનારાઓને થઇ જાય છે. તો ચાલો આજે જાણી લો વર્કિંગ એટલે ઓફિસમાં કામ કરનારા લોકોને કઇ-કઇ સ્વાસ્થ્યને લગતી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે અને સમય રહેતા ચેતી જાઓ.
ફાંદ નિકળવી
ઓફીસમાં 9-10 કલાક બેઠાબેઠા જંકફૂડ અને આચરકુચર નાસ્તા ખાવાની ટેવને કારણે મોટાભાગના લોકોના પેટ પર ચરબીના થર જામી જાય છે. ધીરે-ધીરે પેટ બહાર નિકળવાનું શરૂ થઇ જાય છે, જેની પર શરૂઆતમાં ધ્યાન ન આપવાને કારણે તે ફાંદનું સ્વરૂપ લઈ લે છે. જેથી સતત બેસી ન રહેવું, વચ્ચે થોડું ચાલવું અને ગમે તે ખાઈ લેવાની ગંદી આદત છોડી દેવી.
-એ વાત પણ સાચી છે કે વર્કિંગ લોકો પણ પોતાના સ્વાસ્થ્યને લઇને એટલા બધા ચિંતિત નથી હોતા જેટલું તેમને હોવું જોઇએ. જેના કારણે તેમણે અનિચ્છનીય રીતે પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઝેલવી પડે છે. ઉદાહરણ તરીકે જોવામાં આવે તો ઓફિસ જનારા લોકો પોતાની દિનચર્યાનું યોગ્ય ધ્યાન નથી રાખતા અને યોગ્ય ખોરાક પણ નથી લેતા.
-યોગ્ય રીતે ના ખાવાના કારણે ઓફિસમાં કામ કરનારાઓમાં મેદસ્વીપણું અને મહિલાઓમાં એનીમિયા વગેરે જેવી બિમારીઓ થઇ જાય છે. આ ઉપરાંત બિલકુલ પણ વ્યાયામ નહીં કરવાના કારણે પણ શરીરમાં દુ:ખાવો, બ્લડ સર્ક્યુલેશન આખા શરીરમાં ન થવું, થાક લાગવો અને માથાનો દુ:ખાવો થવો સામાન્ય વાત છે. આજકાલ તો લોકો રાતની શિફ્ટમાં પણ કાર્ય કરવા લાગ્યા છે, જેના કારણે અનિદ્રાની સમસ્યા અને તણાવની સમસ્યાનો પણ વધારે થવા લાગી છે.
ગરદનમાં દુ:ખાવો
કમ્પ્યૂટરની સામે વધારે વાર સુધી બેસવાના કારણે ગરદનમાં દુઃખાવો રહેવાની સમસ્યા મોટાભાગના લોકોને થતી હોય છે પરંતુ લોકો તેની પર વધુ ધ્યાન નથી આપતા જેના કારણે આગળ જતાં મોટી સમસ્યા સર્જાય છે. જેથી નોકરીયાત વર્ગે ખાસ કેટલીક પ્રકારની ગરદન, પીઠ અને આંખોને રિલેક્સ કરનારી કસરતો અને સ્ટ્રે્ટિંગ કરતાં રહેવું જોઈએ. જેથી માસપેશીઓ થાકે નહીં અને દર્દ પણ ન થાય.
આંખોમાં બળતરા
સતત કમ્પ્યૂટર અથવા લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરવાથી આંખો સુકાઇ જાય છે અને આંખોને બહુ નુકસાન પણ થાય છે. આનાથી આંખો લાલ પડી જાય છે અને તેમાં બળતરા થવા લાગે છે. એટલા માટે તમારી આંખોને દર અડધા કલાકે સ્કિન સામેથી હટાવી થોડી દૂરની વસ્તુ જોતા રહેવું જોઈએ. જેથી તમારી આંખો સ્વસ્થ રહી શકે અને જરૂર પડે તો ડોક્ટરને પણ ચેક કરાવતા રહેવું.
તણાવ
તણાવ લેવાથી ઘણી બધી બિમારીઓ ઘર કરી જાય છે. તણાવથી માત્ર શારીરિક બિમારી જ નહીં પરંતુ માનસિક બિમારી પણ થઇ જાય છે અને કેટલાક સંશોધનમાં પણ આ વાત જાણવા મળી છે કે કામના ભારને કારણે અને ઓફિસમાં થતી પ્રતિક્રિયાઓને કારણે મોટાભાગના નોકરીયાત વર્ગમાં આ સમસ્યા જોવા મળે છે. જેથી તણાવને તમારા જીવનમાંથી દૂર કરી દો.
અનિંદ્રા
આ બિમારી ખૂબ જ સામાન્ય છે અને આજકાલ લોકોમાં સતત વધતી જઈ રહી છે, જેની પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમાં સૌથી સામાન્ય કારણ ઓફિસ વર્ક માટે મોડી રાત સુધી લોકો કામ કરે છે અને યોગ્ય રીતે આરામ નથી કરતા.. કામ જરૂરી છે પરંતુ તેના કરતા વધારે જરૂરી છે તમારી ઊંઘ, જેને પૂરતા પ્રમાણમાં લેવી જરૂરી છે. નહિંતર શરીર રોગોનું ઘર બની જશે.
ભૂખ ના લાગવી
પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ થવાથી સૌથી પહેલાં અસર ભૂખ પર થાય છે. એમાંય તમારી ખાવાની ખોટી આદતો અને સમયસર ન જમવાને કારણે પેટ ખરાબ રહે છે. જ્યારે તમે સવારે ઓફિસ માટે ખાધા વગર ભાગો છો, તો તેનાથી તમારી ભૂખ મરી જાય છે અને તે ધીરે ધીરે તમારી આદત બની જાય છે જેથી જ્યારે આપ ભરપેટ જમી લો છો તો અપચાની સમસ્યા ઉદભવે છે. જેથી નોકરીયાતોએ સમયસર ખાવું-પીવું જોઈએ.
અપચો
અપચાની સમસ્યા બહુ જ ખરાબ માનવામાં આવે છે. અપચાની સમસ્યા થાય ત્યારે ખાવાનું યોગ્ય રીતે પચતું નથી અને જે ખાધું હોય તેના પોષક તત્વો શરીરને મળવા જોઈએ તે પણ મળતા નથી. આ સમસ્યા ઓફિસમાં કામ કરનારાઓને વધારે એટલા માટે થાય છે કારણ કે તેમને આખો દિવસ બેસી રહેવાનું હોય છે. જમ્યા પછી તરત કામે વળગી જવું અને ખુર્શી પર સતત બેસી રહેવાથી આ બીમારી નોકરીયાત વર્ગમાં વધારે જોવા મળે છે.
કમરનો દુ:ખાવો
ઓફિસમાં કામ ખતમ થયા બાદ પણ ખોટી રીતે કલાકો સુધી ગપ્પા મારવા માટે બેસી રહેવાને કારણે કમરનો દુ:ખાવાની સમસ્યા ધીરે-ધીરે શરૂ થઈ જાય છે. જેના પણ મોટાભોગના લોકો એમાંય ખાસ કરીને યુવાનો ધ્યાન આપતા નથી. જે ઘણા મહીનાઓ સુધી રહે છે. હંમેશા ખુર્શી પર બેસો અને ક્મપ્યૂટરનું કિબોર્ડ વધારે ઉપર નહીં અને વધારે નીચે નહીં એવી રીતે રાખવું. સાથે જ એકદમ સ્ટ્રેટ બેસવું જેથી તમારું પોશ્ચર યોગ્ય રહે.
માથાનો દુ:ખાવો
માથાનો દુઃખાવો આજકાલ સતત વધતો જઈ રહ્યો છો. માઈગ્રેન, આધાશીશી વગેરે સમસ્યાઓના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. તેના પાછળ સૌથી મોટું કારણ છે કે મગજ પાસેથી હદથી વધારે કામ લેવું. કામનું પ્રેશર સ્ટ્રેસમાં વધારો કરે છે, જેથી ઓફિસમાં કામ કરતાં લોકોને આ સમસ્યા સતાવતી હોય છે. તેની માટે પૂરતી કાળજી લેવી જરૂરી છે. બની શકે તો યોગાસન અને ધ્યાન કરો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર