‘મધર ઈન્ડિયા’ બોમ્બેના લિબર્ટી સિનેમામાં રિલીઝ થઈ હતી. જે સમયે પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ ફિલ્મ જોવા પહોંચી હતી, તે દ્રશ્યો.
વર્ષ 1957માં રિલીઝ થયેલી ‘મધર ઈન્ડિયા’ ફિલ્મને હિન્દી સિનેમાની ક્લાસિક કૃતિ ગણવામાં આવે છે. ખરેખર તો ‘મધર ઈન્ડિયા’ ને ભારતના ૧૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા 15 ઓગસ્ટ 1957 ના દિવસે રીલીઝ કરવાની યોજના હતી, પરંતુ આ ફિલ્મ બે મહિના પછી રિલીઝ થઈ. દિવાળી દરમિયાન 25 ઓક્ટોબર 1957 ના રોજ મુંબઇના લિબર્ટી સિનેમામાં તેનું પ્રીમિયર થયું; તે સતત કેટલાય મહિનાઓ લિબર્ટીમાં ચાલતું રહ્યું. આ મુવી તે જ દિવસે કોલકાતા અને એક અઠવાડિયા પછી દિલ્હીમાં રિલીઝ થઈ હતી. આ ક્લિપ ફિલ્મ કલા બજાર (1960) માંથી લેવામાં આવી છે, જેમાં આ પ્રીમિયર દર્શાવવામાં આવ્યું હતું.
ફિલ્મ વિષે બીજું (not બીરજુ) ઘણું બધું… જે ક્યારેય ન જાણ્યું હોય..
‘મધર ઈન્ડિયા’ વર્ષ 1958માં ‘ઓસ્કાર એવોર્ડ’ની ફોરેન લૅંન્ગ્વેજ કૅટેગરી માટે નામાંકન પામનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી.
પણ ફિલ્મ બનાવવામાં ડિરેક્ટર મહેબૂબ ખાનની આર્થિક દશા પણ બગડી ગયેલી. લંડનથી જ્યારે તેની ટેકનીકલ પ્રિન્ટ આવી ત્યારે કસ્ટમમાં ક્લિયર કરાવવા માટે મહેબૂબ ખાન પાસે એટલા રૂપિયા જ નહીં. એ વખતે નિમ્મીને મામલાની ખબર પડી અને મહેબૂબ ખાન જાણે નહીં તેમ તેમના મિત્ર આર. વી. ઈશ્ર્વરને પચીસ હજાર રૂપિયા આપી ગઈ. આખરે ફિલ્મ પ્રીમિયર સુધી પહોંચી. આ પ્રીમિયરમાં રાજકપૂર ગેરહાજર રહેલા અને નરગિસ માટે મોટી સાઈઝનો પુષ્પગુચ્છ મોકલેલો. નરગિસ તેને અડ્યા અને બાજુમાં ઊભેલા રાજકુમારના હાથમાં પકડાવી દીધો. પછી તો આ ફિલ્મ નરગિસને મેજર એવૉર્ડ્ઝ અપાવનારી પુરવાર થઈ અને મહેબૂબ ખાન ચોતરફથી સન્માન પામ્યા.
એક ખૂબ જ દુર્લભ વિડિઓ…
આખી સ્ટોરી એમના માટે જેમણે આ મુવી નાં જોયું હોય અને જેમણે જોયું હોય એની યાદો તાજી કરવા માટે ….
ભારતીય સિનેમા હંમેશા જે-તે સમયનાં પ્રશ્નોને વાચા આપતી બનાવવામાં આવી છે, જે-તે સમયની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકીને જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે, આવી સિનેમાની હંમેશાં ભારતીય સમુદાય પસંદ કરી છે, સ્વીકારી છે અને તેની સરાહના કરી છે. દેશની આઝાદી પછી શરૂઆતનાં દસ વર્ષમાં વર્ષ ૧૯૫૭માં આવેલી ‘મધર ઈન્ડિયા’ આવી જ એક સામાજિક અને લોકોમાં જાગૃતિ લાવતી સિનેમા હતી. ‘મધર ઈન્ડિયા’ આઝાદી પછી બનેલી સામાજિક શ્રેષ્ઠ સિનેમા છે. લેખક અને દિગ્દર્શક દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કરાયો છે કે, આઝાદી પછી પણ દેશનાં સાહુકારાઓ, મૂડીપતિઓએ હંમેશાં ગરીબ અને અભણ પ્રજાને લૂંટવાનું ચાલુ રાખ્યું. એનકેન પ્રકારે ગરીબ ખેડૂતોની જમીન પોતાને હસ્તક રાખી, તેમની પાસે વેઠ-મજુરી કરાવી અને ખેડૂતોને એમની મહેનતું પૂરતુ વળતર ના મળે તેવી સ્થિતિ કરી દીધી. નાનાં કે ગરીબ માણસોને આઝાદી શું કે ગુલામી શું તેમાં તેમને કોઈ ફર્ક લાગતો નહતો, એમને તો ફક્ત કાળી મજૂરી કરી, વેઠ ઉપાડીને પૈસાદારો, સાહુકારોની ગુલામી જ કરવાનું હતું.
આ ફિલ્મમાં ગામની માતા તરીકે લોકોએ સ્વીકારેલ રાધા જેનો રોલ અદા કર્યો છે નરગીસે. રાધા તેની જવાનીમાં ગરીબ કુટુંબમાં પરણીને આવી અને
એનાં સાસુ-સસરાએ ગામનાં સાહુકાર પાસેથી વ્યાજે ૫૦૦ રૂપિયા લીધાં હતાં અને ખેતીમાં પૂરતી ઉપજ ન થવાનાં કારણે પોતાનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ હતું તો તેમાંથી વ્યાજ કેવી રીતે અપાય ? આ ઝઘડો સાહુકાર અને રાધા વચ્ચે પડ્યો, તે વખતે રાધાને ત્રણ બાળકો હતાં જે નાની ઉંમરનાં હતાં અને રાધાનાં પતિ તરીકે રોલ અદા કરનાર રાજકુમાર શામુ તરીકે ઓળખાતાં હતાં. બંન્ને કાળી મજૂરીને કરી સાહુકારનાં સકંજામાંથી મુક્ત થવા માટે દિવસ-રાત મહેનત કરે છે તો પણ તેઓ પૂરતી કમાણી કરી શકતાં નથી, વધુ આવક મેળવવા માટે પથરાળ જમીનમાં પોતે ખેતી કરીને વધારે આવક ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. ખેતરમાં એક મોટો પથ્થર હોય છે જેને હટાવવો ખેતી માટે જરૂરી હોય છે તેથી તે પોતાનાં હાથથી વિશાળ પથ્થર ઉંચો કરી બાજુએ મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેનો હાથ પથ્થર નીચે દબાય જાય છે અને બૂમો પાડવા છતાં મદદ મળતી નથી અને છેવટે હાથ વગરનો તે અપંગ બની જાય છે, આવી સ્થિતિમાં તેને પત્ની દ્વારા મહેનત કરીને જે પૈસા આવે તેનાથી જીવન જીવવું ફરજિયાત બની ગયું. બાળકો નાનાં હતાં કે જેઓ પોતે મજૂરી ના કરી શકે એટલે ગામનાં શાહકુારે તેને મેણા-ટોણા મારી અપમાનિત કરવા લાગ્યાં છેવટે શામુ ઘર છોડીને જતો રહે છે.
આ બાજુ બાળકોને મોટાં કરવાની જવાબદારી રાધા ઉપર આવે છે. એક સમય એવો આવે છે કે અતિવૃષ્ટિનાં કારણે ગામમાં પૂર આવે છે. ગામનાં ઝૂંપડા તણાઈ જાય છે. ઘરમાં વધેલું થોડું ઘણું અનાજ પલળીને નકામું થઈ જાય છે, ખાવા માટે એક દાણો હોતો નથી અને બીજીબાજુ નાનાં બાળક અનાજ માટે ટળવળે છે. માટીમાંથી શોધીને અનાજનાં દાણા ખાવાનો પ્રયત્ન કરે છે. ભારતીય માં થી આ દેખી શકાતું નથી તો બીજીબાજુ શાહુકાર સુખીલાલા રાધાની જવાનીથી મોહિત થઈને તેને પોતાની પત્ની બનવા માટે આમંત્રણ આપે છે, અને રાધાનાં ઘરની જવાબદારી ઉઠાવવાનું કહે છે. એક વખત તો રાધા શાહુકારને મારીને અપમાનિત કરે છે પરંતુ તેનું મન ડગી જાય છે. પોતાનાં બાળકોની હાલત જોઈને એક ઘડી તો એ શાહુકારનાં શરણે જવાની ઈચ્છા કરે છે.
પરંતુ બીજી જ ક્ષણે ભારતીય માં પોતે મરી જશે પરંતુ કોઈ જાતનું કલંક નહીં લાગવા દે તેની સાબિતી પૂરી પાડે છે. આવી અનેક નાની-મોટી ઘટનાઓ તેમાં આવરી લેવાઈ છે. ગામની પંચાયત પણ કિસાનો તરફી ના રહેતાં શાહુકાર તરફી નિર્ણય કરે છે અને નક્કી કરવામાં આવે છે કે ખેતરમાં જેટલું ઉત્પાદન થશે એનાં ત્રણ ભાગ ગામનો શાહુકાર પોતે વ્યાજ પેટે લેશે અને એક જ ભાગ જમીનનાં માલિકને મળશે.વર્ષો સુધી આ વચનનું પાલન રાધા કરે છે પરંતુ જ્યારે તેનાં બંન્ને દીકરાઓ મોટાં થાય છે ત્યારે શાહુકાર પાસે જઈને હિસાબ માંગે છે કે આટલાં વર્ષોથી અમે તમને અમારી ઉપજ આપીએ છીએ તોય હજુ દેવું પૂરું થયું નથી ?
ત્યારે શાહુકાર એની સામે એનાં પોતાનાં લખેલાં ચોપડા નાંખે છે અને એમાં એમનાં બાપ-દાદાનાં અંગૂઠા હતાં અને છોકરો ભણેલો નહોતો એટલે ચોપડો જોઈને એ કંઈ સમજી શકતો નથી ત્યારે પોતે ભણ્યો નથી એનો એને અફસોસ થાય છે, લેખક આ ઘટના દ્વારા દેશની જનતાને ભણવું કેટલું મહત્વનું છે અને અભણ માણસોનું શોષણ શાહુકાર લોકો કેવી રીતે કરે છે તે બતાવ્યું છે.
અંતમાં એક અતિમહત્વની ઘટના ફિલ્મમાં દર્શાવાઈ છે જે ગામનાં શાહુકારની દીકરીને રાધાનો મોટો દીકરો પોતાનું વેર વાળવા માટે, માતા-પિતાનું કરેલું શોષણનો બદલો લેવા માટે શાહુકારની દીકરીને લગ્ન મંડપમાંથી ઉપાડી પોતાનાં ડાકુ મિત્રો સાથે ઘોડા પર ભાગે છે ત્યારે ભારતીય પરંપરા પ્રમાણે ગામમાં રહેતાં દરેક લોકો એક પરિવાર છે અને છોકરાં-છોકરી એકબીજાનાં ભાઈ-બહેન છે તે ભારતીય સંસ્કૃતિને તાદૃશ કરવા માટે દિગ્દર્શકે રાધાનો દીકરો શાહુકારની દીકરીને લઈ ભાગે છે ત્યારે એની જ માતા શાહુકારની દીકરી પાછી આપી દેવા માટે કહે છે પરંતુ એનો દીકરો બિરજુ માનતો નથી અને બાપ-દાદાનાં શોષણનો બદલો લેવા માટે ઉપાડી જવા માટે મક્કમ રહે છે.
ત્યારે રાધા કહે છે ‘રૂક જા બિરજુ નહીં તો મેં ગોલી માર દુંગી’ અને આખરમાં ગામની દીકરીની લાજ બચાવવા માટે મા પોતાનાં દીકરાને ગોળી મારી તેને ઘોડા પરથી નીચો પાડી દે છે.જિંદગીભર વિરોધી રહેલાં શાહુકારની દીકરીને મુક્ત કરાવે છે અને બિરજુ અંતમાં પોતાની માતાનાં ખોળામાં પોતે પ્રાણ ત્યાગી દે છે. આ ઘટનાથી જે સિનેમાનું નામ ‘મધર ઈન્ડિયા’ ભારતીય માતા ભારતીય સંસ્કારોને જીવંત રાખવા માટે તે પોતાનાં પુત્રને પણ મારી નાંખતાં ખચકાતી નથી. આ ફિલ્મ દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગ્રામીણ રીતરિવાજોનું અને ગામનાં શાહુકારોનો અત્યાચારનો આબેહુબ ફિલ્મીકરણ કરી અનેક સંદેશા આપી જાય છે.