ભારતીય હિંદુ સંસ્કૃતિમાં દરેક દેવી-દેવતાઓ ના પૂજનમાં આરતી ખાસ કરવામાં આવે છે. મંદિરોમાં ભગવાનનું પૂજન કરવા માટે આરતી એક અગત્યનું અંગ છે. ઘર હોય કે મંદિર દરેક લોકો ખુબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરતી ઉતારે છે. મંદિરોમાં, કથા-પારાયણમાં તેમજ દરેક ધાર્મિક શુભ કાર્યોના પ્રારંભમાં તેમજ પુર્ણાહુતી પ્રસંગે આરતી અવશ્ય કરાય છે. તેથી જ તેનું મહત્વ ખુબ જ ખાસ છે. આમ તો ભગવાનનું પૂજન ચંદન, અબીલ, ગુલાલ, કુમકુમ, પુષ્પ તેમજ વિવિધ પ્રકારના ષોડષોપચાર થી કરવામાં આવે છે. પરંતુ જો તે પૂજનમાં કોઈ પણ પ્રકારની ત્રુટી રહી જાય તો તે આરતીથી સંપૂર્ણ થાય છે.
જો કોઈ મનુષ્ય ભગવાનનો કોઈ મંત્ર, પૂજન કરવાની વિધિ ન જાણતો હોય તો પણ ભગવાનની આરતી ઉતારવા માત્રથી તેની સંપૂર્ણ પૂજા નો સ્વીકાર થાય છે. તેમજ તેને તેનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે. એટલે જ પૂજા શરુ કરતા પહેલા જ લોકો વિવિધ રીતે આરતી સજાવીને ભગવાનની આરતી ઉતારે છે. તેમજ કોઈ પણ પ્રકારની પૂજા, યજ્ઞ-હવન, પંચોપચાર, ષોડષોપચાર વગેરેનાં અંતમાં આરતી કરવામાં આવે છે.
આરતીને સામાન્ય રીતે એક શુદ્ધ પાત્રમાં ઘી કે તેલ વડે પ્રગટાવવામાં આવે છે. ક્યારેક ક્યારેક કપૂર વડે પણ આરતી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘી અને કપૂર વડે કરવામાં આવતી આરતી થી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે તેમજ ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. કપૂર ખુબ જ સુગંધિત પદાર્થ હોવાથી તેને સળગવાવાથી વાતાવરણ શુધ્ધ અને સુગંધિત બની જાય છે. તેમજ વાતાવરણમાં પ્રસરેલી બધી નકારાત્મક ઉર્જા નાશ થઇ સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.
આરતી ને પંચ પ્રદીપ પણ કહેવામાં આવે છે. આરતી માં રહેલા પંચ દીપક એ પંચ તત્વ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ નું દર્શન કરાવે છે જે આપણી અંદર મોજુદ હોય છે. ભગવાનની આરતી ઉતારતી વખતે સાથે સાથે ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટનાદ સાથે ભગવાનમાં મન રાખી તથા ઉચ્ચ સ્વરે બોલવામાં આવતી આરતીથી મનમાં ચાલતા દ્વંદ્વ ની સમાપ્તિ થાય છે અને આત્મામાં શાંતિ ની એક અનોખી અનુભૂતિ થાય છે. તેમજ સમગ્ર વાતાવરણમાં એક નવીન ચેતના નો સંચાર થાય છે. જેનાથી આપણને ભગવાનની એક અલૌકિક આનંદની અનુભૂતિ નો અહેસાસ થાય છે.